તખતપુરા માઇનોર કેનાલ તૂટી: 20 ફૂટનું ગાબડું, એરંડાના પાકમાં ભારે નુકસાન, ખેડૂતોએ વળતરની માંગ ઉઠાવી
તખતપુરા માઇનોર કેનાલ તૂટી
તખતપુરા માઇનોર કેનાલ તૂટી: વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં આવેલી માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કેનાલમાં પડેલા આ ગાબડાને કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના પરિણામે ઊભા એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે.
તખતપુરા માઇનોર કેનાલ તૂટી

પ્રાપ્ત વિગતો અનુસાર, કેનાલમાં અંદાજે 20 ફૂટથી વધુ પહોળું ગાબડું પડ્યું હતું. આ ઘટનાના કારણે લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.
નુકસાનગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું કે કેનાલ તૂટવાથી ઊભો પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. ખેડૂત મેઘરાજભાઈએ જણાવ્યું હતું કે તેમણે ચાર એકરથી વધુ જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક પાણી ફરી વળતાં પાકને ભારે નુકસાન થયું છે અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
આ ઘટનાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની સમસ્યા ઉભી થાય છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં આવતું નથી. પરિણામે દર વખતની આવી ઘટનાઓમાં ખેડૂતોને જ નુકસાન વેઠવું પડે છે.
નર્મદા નિગમના અધિકારી પી.એસ. પ્રજાપતિએ આ અંગે જણાવ્યું હતું કે કેનાલમાં નીલ (કાદવ) ભરાવાના કારણે ગાબડું પડ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે.
નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સંબંધિત વિભાગને તાત્કાલિક કેનાલનું કાયમી સમારકામ કરવા સાથે પાકના નુકસાન બદલ યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |