વાવ–સુઈગામ હાઈવે પર અધૂરું રોડ કામ કપચી અને ઢીલું મટીરિયલ બન્યું અકસ્માતનું કારણ, વાહનચાલકો ત્રસ્ત
વાવ–સુઈગામ હાઈવે પર અધૂરું રોડ કામ
વાવ થરાદ જિલ્લાના વાવ–સુઈગામ હાઈવે પર રોડની અધૂરી કામગીરીને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર કપચી અને ઢીલું મટીરિયલ ફેલાયેલું હોવાથી ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે પસાર થવું જોખમી બની ગયું છે. આવી સ્થિતિને કારણે અહીં અકસ્માત થવાનો ભય સતત વધતો જઈ રહ્યો છે.
વાવ–સુઈગામ હાઈવે પર અધૂરું રોડ કામ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી રોડનું કામ અધૂરું પડ્યું છે અને કામની ગતિ પણ ખૂબ ધીમી છે. જેના કારણે રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક જગ્યાએ રોડ પર ઢીલું મટીરિયલ હોવાને કારણે વાહનો સ્લિપ થવાની શક્યતા વધી ગઈ છે.
લોકોએ કોન્ટ્રાક્ટર સામે કામમાં બેદરકારીના આક્ષેપો પણ કર્યા છે. તેમના કહેવા મુજબ, છેલ્લા બે વર્ષથી આ હાઈવે પર આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને યોગ્ય દેખરેખના અભાવને કારણે અનેક અકસ્માતો પણ થયા હોવાનું જણાવવામાં આવે છે.
વાવના અગ્રણી રામસિંહભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે, ખીમાણાવાસ રબારીવાસ નજીક સહિત વાવ અને સુઈગામ વચ્ચે લગભગ પાંચ જેટલી જગ્યાએ રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે. ખાસ કરીને મોટરસાયકલ ચાલકો વારંવાર સ્લિપ થઈને પડી જાય છે, જેના કારણે ગંભીર ઈજાઓ થવાનો ખતરો રહે છે.
તેમણે સ્થાનિક તંત્ર અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે. સાથે જ રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત, રોડ પર ઉડતી ધૂળને નિયંત્રિત કરવા માટે નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે, કપચી અને લોરલને યોગ્ય રીતે દબાવવામાં આવે અને વાહનચાલકો માટે યોગ્ય ડાયવર્ઝન મુકવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટરો દ્વારા જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે સામાન્ય લોકોના જીવને જોખમ ઉભું થયું છે.
જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |