બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં IRM ગેસ કંપની સાથે જોડાયેલા CNG પંપના ડીલરો અને કંપની વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. કમિશનમાં વધારો સહિતની વિવિધ માંગણીઓને લઈને સોમવારે પાલનપુરમાં ડીલરોની બેઠક મળી હતી. બેઠકમાં કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, પરંતુ માંગણીઓ અંગે કોઈ નક્કર નિર્ણય ન આવતા ડીલરોએ 15 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
વાવ થરાદમાં 65 CNG પંપ બંધ કરવાની ચીમકી
ડીલરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સી.એન.જી પંપ ચલાવવાનો ખર્ચ સતત વધ્યો છે. કર્મચારીઓનો પગાર, વીજળી, મેન્ટેનન્સ સહિતના ખર્ચ વધ્યા હોવા છતાં કંપની તરફથી મળતું કમિશન 2018થી યથાવત્ છે. જેના કારણે પંપ ચલાવવો મુશ્કેલ બની રહ્યો હોવાનો ડીલરોનો દાવો છે.
બીજી તરફ, ડીલરોએ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સી.એન.જીના ભાવમાં રહેલા તફાવતનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠામાં સી.એન.જી નો ભાવ પાટણની સરખામણીએ પ્રતિ કિલો આશરે ₹23 જેટલો વધારે છે. ભાવમાં આટલો તફાવત હોવાથી ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને તેની સીધી અસર CNGના વેચાણ પર પડી રહી હોવાનું ડીલરો કહી રહ્યા છે.
15 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં આવે તો?
ડીલરોએ કંપનીને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે 15 ઓગસ્ટ સુધીમાં કમિશન વધારવા અને CNGના ભાવના તફાવત અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના IRM સાથે જોડાયેલા તમામ 65 સી.એન.જી પંપ અનિશ્ચિત સમય માટે બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાચો: તમને જ મચ્છર કેમ વધારે કરડે છે? કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો!
હવે કંપની ડીલરોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. જો સમયમર્યાદામાં ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં CNG ગ્રાહકોને પણ તેની સીધી અસર પડી શકે છે.





