UGC new rule: UGC દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોની કેટલીક જોગવાઈઓ સામે UGC આંદોલન સમિતિ દ્વારા થરાદમાં રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવાદાસ્પદ જોગવાઈઓ પર પુનર્વિચાર કરવા અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી.
સમિતિનું કહેવું છે કે શિક્ષણ ક્ષેત્રમાં ભેદભાવ અટકાવવો અને દરેક વિદ્યાર્થીને સમાન તક આપવી જરૂરી છે, પરંતુ નિયમોની કેટલીક જોગવાઈઓના કારણે વિદ્યાર્થીઓમાં ગેરસમજ અને પરસ્પર અવિશ્વાસ ઊભો થવાની શક્યતા છે.
ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવા સામે વાંધો – UGC new rule
બ્રહ્મ સમાજના આગેવાન બિપીન દવેએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં UGC દ્વારા લાવવામાં આવેલી કેટલીક જોગવાઈઓ સામે તેમનો વિરોધ છે. ખાસ કરીને વિદ્યાર્થી સામે ફરિયાદ થાય ત્યારે તપાસ માટેની પ્રક્રિયા અને ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવાની જોગવાઈ અંગે તેમણે વાંધો વ્યક્ત કર્યો હતો.
તેમના જણાવ્યા મુજબ, ખોટા આક્ષેપ થાય તો વિદ્યાર્થીને પોતાની સામે ફરિયાદ કોણે કરી તેની જાણ ન હોવાથી માનસિક તણાવ ઊભો થઈ શકે છે. આ જોગવાઈ અંગે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાચો: ગુજરાત પોલીસમાં 3,000 ભરતીની તૈયારી! સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેરાત આવવાની શક્યતા
કોઈ સમાજના વિરોધમાં નહીં હોવાનો દાવો
સમિતિએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો વિરોધ કોઈ જાતિ, સમાજ કે સમુદાય સામે નથી. તેમની માંગ વિદ્યાર્થીઓ માટે સમાનતા, ન્યાય અને નિષ્પક્ષ વ્યવસ્થા જાળવવાની છે. આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને UGC સુધી પહોંચાડીને સંબંધિત જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે.

